આમતો એક જ વારમાં બધું લખુવું યોગ્ય હતું, પણ બે
ભાગ પાછળ મહત્વના અમુક કારણ છે. કારણ એક, અમુક અનુભવ હજુ થોડા શબ્દોના હકદાર છે, અને
બે, એક પ્રસંગ વિષે લખવું કે ના લખવું એ અસમંજસ. છેવટે નક્કી કર્યું કે લખવું જ
જોઈએ. દરેક સિક્કાની બે બાજુ હોય છે.
મણીકર્ણિકા ઘાટ. આ ઘાટ ઉપર હિંદુ વિધિ મુજબ અંતિમ
સંસ્કાર કરવામાં આવે છે, અહિયાં મૃત્યુ સરળ લાગે છે, સહજ લાગે છે. અહિયાં મૃત્યુ
એક ઉત્સવ છે. સામન્ય રીતે મૃત્યુ સાથેની એક ખાલીપો તમને ઘેરી વળે છે, લાગે કે કઈક અટકી ગયું છે, અને મારી સાથે કેમ થયું જેવા કેટલાય પ્રશ્નોના વમળમાં તમે
ખેચાતા જાઓ. પણ અહિયાં એક સાથે એટલા બધા અંતિમ સંસ્કાર થઇ રહ્યા હોય કે તમને
એવું ના લાગે કે તમે એકલા છો, ભલે વ્યક્તિઓ પરિવારો અલગ છે પણ લઘુત્તમ સામાન્ય અવયવની જેમ દુઃખ પણ વહેચાઈ જાય છે. સતત
તમને એ સત્યતા સમજાયા કરે છે કે આ અજુગતું નથી, જે જન્મ લે છે એ એક દિવસ મૃત્યુ
પામે છે, દરેક જીવની એક એસ્ક્સ્પાયરી ડેટ નક્કી છે. બીજું અહિયાં મૃત્યુ એ ઉત્સવ પણ છે, એક બે વાર
અમે લોકો એ સાંભળ્યું કે નનામી ને ઢોલ નગારા સાથે લાવવામાં આવી છે, બધા જ નહિ પણ
અમુક ચોક્કસ કોમ્યુનીટીમાં એવું છે. જો કે નજરે જોવા ન મળ્યું પણ થોડી તપાસ કરતા ખ્યાલ
આવ્યો કે એ સાચું છે. થોડું અજુગતું લાગ્યું
પણ થોડું વિચાર્યું તો સમજાયું કે એ લોકો માટે એ શરીરના અંતના દુઃખથી વધુ મહત્વનું
છે એ આત્માની મુક્તિ, આત્મ હવે મુક્ત છે, એ ક્યાંક ફરી વસસે, શ્વાશ્સે અને એના નવા
અધ્યાયનો આરંભ થશે. દીકરો કે દીકરી ભણવા વિદેશ જતા હોય ત્યારે એરપોર્ટ મુકવા આવેલા
મા-બાપના આંખમાં આંસુ હોય પણ એના કરતા ખુશી વધારે હોય કે મારું બાળક આગળ વધી
રહ્યું છે, કઈ નવું જોવા, જીવવા જઈ રહ્યું છે, કદાચ આ જ લોજીક અહિયાં લાગુ પડે છે ,
હે ને ? બીજું એક અવલોકન એ પણ રહ્યું કે અહિયાં મોતને સફેદ રંગ આપી ને ટાઈપકાસ્ટ નથી કરી નાખી, અહિયાં અમે એક પણ
નનામી સફેદ કપડામાં આવી હોય એમ નથી જોઈ, લાલ,લીલો વાદળી,પીળો .. વાઈબ્રન્ટ, ભપકાદાર,
ચમકીલા રંગો. મૃત્યુ એ સાચે ઉત્સવ છે અહિયાં.
ઘાટ,બાબા, અઘોરી અને વિદેશી પર્યટકો આ બધી વાતો
આવે કે તરત એક વસ્તુ ફરીથી સામાન્ય અવયવની
જેમ બહાર આવે, ગાંજો , હેશ, ચરસ અને એ સાંકડી અને નાની ગલીઓમાં વિસ્તરેલું એનું વિશાળ
નેટવર્ક.
તમે ઘાટ ઉપર ચાલતા જઈ રહ્યા હોવ અને અચાનક તમને
અવાજ આવે ..
“ હેલો સર, where are you from ? Delhi ,
Mumbai, puna . you want to get high? I have weed , grass , premium quality hash
? what do you want ?” અને પછી પોતાની નશીલી આંખે જવાબની અપેક્ષા સાથે તમારી સાથે
ચાલ્યા કરે. પણ સૌથી ઈમાનદાર છે આ લોકો એક વાર ના પાડો એટલે તરત જતો રહે છે. પંડાઓના
કેસમાં એવું નથી. એ લોકો પાસે એક સંમોહન શક્તિ છે, તમે જેને ના નહિ જ કહી શકે.
હજુ પણ ના લખાયેલો એક અનુભવ, જેના વિષે અસમંજસ
હજુ પણ છે , પણ હવે લખવું જ રહ્યું. ઘણા આર્ટીકલ અને ટ્રાવેલ બ્લોગમાં વાંચ્યું હતું પણ નજરે જોયું. નાના બાળકો અને ગર્ભવતી મહિલાઓના ઘાટ ઉપર અંતિમસંસ્કાર નથી
કરવામાં આવતા પંરતુ એમના શબને ગંગામાં વહેવડાવી દેવામાં આવે છે. હવે વારાણસીની ગંગા
શાંત છે, શાંતિ થી વહે છે, અને ઘણીવાર એવું બને છે કે શબ કિનારા તરફ આવી જાય છે, ત્યાં
જ રહે છે, દિવસો સુધી, ત્યાં ફોગાય છે, થોડો સમય લોક કદાચ એ તરફ ના જાય પણ એ
દ્રશ્ય બિહામણું હોય છે, નજરે એક બાળકનું શબ જોયું. આંખો ખવાઈ હતી અને શરીર કોહવાઈ
ગયું હતું. એટલા બધા અનુભવ સામે આ ક્ષણભર નો બીભ્સત અનુભવ. શ્રદ્ધા અને વિશ્વાસ અલગ
વાત છે પણ શું આ યોગ્ય છે ? આ વાત ત્યાંના લોકો માટે આટલી સહજ કેવી રીતે હોઈ શકે?
ઉપરથી એ પણ સાંભળ્યું કે ઘણી વાર અડધા જ અંતિમ સંસ્કારએ શબને પાણીમાં નાખી દેવામાં
આવે છે પણ એવું કશું જોયું નથી.. ખાસો સમય ખાઈ ગયું આ દ્રશ્ય અમારો. બીભસ્ત ....
સત્ય ......
આવા આગ અલગ અનુભવ સાથે ચાર દિવસની સફર સમાપ્ત
થવા આવી, દરમિયાન મમ્મી માટે સાડી લેવાઈ ગઈ એક દોસ્ત એ હુકમ અને હકથી ગીફ્ટ માંગી તો એ પણ લેવાઈ ગઈ, શોપીગ આપણું કામ નહિ એ ફરીથી દૃઢ પણે સમજાઈ ગયું. પીંડાના હાથે છેતરાઈ ગયા અને અભિષેકથી
જેટલા જલ્દી જોડાયા હતા દુર પણ થઇ ગયા . જાતે જ રસ્તા શોધતા થઇ ગયા.
બપોરે મનન સાથે કરીલે હાઈ કોર્ટની પોલીટીકસ ની
વાતો. નવા સાડી વાળા કાકાને ત્યાંથી
જોયેલી આરતી. રાત્રે બેસીને ગીતો ગયા. થોડો ટાઈમ થયું કે બસ સમય અહિયાં જ થંભી
જાય. પણ બધું જ આગળ વધી રહ્યું હતું. જે અહિયાં મુકવાનું હતું મુકાઈ ગયું હતું. છેલ્લા
દિવસે સવારે સાથે ઘાટ ઉપર જઈને સૂર્યોદય જોયો, એ એક આશા સાથે કે ફરી કદાચ આવીશું
અહિયાં ફરીથી. કદાચ ફરી આ શહેર કઈ બીજું આપશે.
વારાણસી એક અનુભવ છે ..
વર્ષો જુના મિત્રો કે જેને તમે ખાલી કલાકોના માપમાં
મળ્યા છો એની સાથે ૫ દિવસ રેહવાનો જીવવાનો અનુભવ.
અંગતથી પોતાના બનવાનો અનુભવ.
અજાણ્યા શેહેરને છોડતી વખતે થતા દુઃખનો અનુભવ.
મણીકર્ણિકા ઉપર મૃત્યુને સહજ રાખવાનો અનુભવ.
નદીની વચ્ચે બેસી ને ૮૪ ઘાટ જવાનો અનુભવ.
ક્લોઝ અપ
हे गंगा मैया,
तुम्हारा जल इतना शीतल होते हुए भी
मुझे शीतल क्यों नहीं लग रहा ?
लगता है मेरे भीतर है
जो जल रहा.....
અર્પણ : એ જ ખુશી, મનન , ધર્મરાજ અને વારાણસી ને.
Comments
Post a Comment